આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન, ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહીત બધા જ દેવ શયન કરે છે અને સમગ્ર સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવ પોતાના હાથમાં લે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવશયની એકાદશીથી ચતુર્માસનો પ્રારંભ થાય છે, આ દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં વિશ્રામ કરે છે. તો એક માન્યતા અનુસાર, દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં નિવાસ કરે છે અને અહીં તેઓ યોગ નિંદ્રામાં હોય છે. સમગ્ર ચતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં શયન કરે છે.
ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુનું પાતાળ લોકમાં રહેવાનું કારણ
કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ રાજા બલિને વચન આપ્યું હતું કે તેઓ પાતાળ લોકમાં તેમની સાથે રહેશે. રાજા બલિએ પોતાનું બધું જ દાન કરી દીધા પછી ભગવાન વિષ્ણુને કહ્યું હતું કે તેઓ જ્યારે પણ આંખ ખોલે, ત્યારે ભગવાન વિષ્ણુ તેમની સામે સાક્ષાત દર્શન આપે. ભગવાને રાજા બલિને વરદાન આપ્યું અને તેમની સાથે જ સાથે પાતાળ લોકમાં રહેવા લાગ્યા. જે બાદ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવીને વૈકુંઠ લઈ આવ્યા, પરંતુ ભગવાન વિષ્ણુએ બલિને કહ્યું કે તેઓ ચાર મહિના સુધી પાતાળ લોકમાં રહેશે. ત્યારથી દર વર્ષે ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં યોગ નિદ્રામાં હોય છે. તેની કથા કંઈક આ પ્રકારે છે.
રાજા બલિનું વામન દેવને દાન
ભગવાન વિષ્ણુ વામન દેવનો અવતાર લઈને અસુરોના રાજા બલિને ત્યાં પહોંચે છે અને 3 પગ ભૂમિ દાનમાં માંગે છે. શુક્રાચાર્યએ બલિને વામન દેવને કંઈપણ આપવા ના કહી દીધું હતું. પરંતુ કહેવાય છે કે બલિ સમક્ષ જે કોઈ દાનમાં કંઈપણ માંગે, તેને આપી દેતાં હતા. ત્યારે વામન દેવે 2 પગમાં સમગ્ર પૃથ્વી અને સ્વર્ગને માપી લીધું અને ત્રીજો પગ બલિએ પોતાના માથા પર લઇ લીધો. જે બાદ વામન દેવ પ્રસન્ન થઈને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન માંગવા કહ્યું.
બલિના બંધનમાં બંધાઈ ગયા ભગવાન વિષ્ણુ
ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકના રાજા બનાવી દીધા અને કહ્યું કે તે કળયુગના અંત સુધી ત્યાં નિવાસ કરશે. ત્યારે બલિએ ભગવાન વિષ્ણુને કહ્યું કે તે ઈચ્છે છે કે તે જયારે સૂઈને જાગે ત્યારે તે સાક્ષાત તેમના દર્શન કરવા માંગે છે. તમે પાતાળ લોક્ની શત્રુઓથી રક્ષા કરો. ભગવાન વિષ્ણુ વચનબદ્ધ હોવાથી બલિને વરદાન આપી દીધું અને તેમની સાથે પાતાળ લોક જતાં રહ્યાં.
ઘણો સમય વીતી ગયા બાદ જ્યારે ભગવાન વિષ્ણુ વૈકુંઠ ન પહોંચ્યા, તો માતા લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓ ચિંતિત થઈ ગયા. ત્યારે નારદજીએ માતા લક્ષ્મીને તેનો ઉપાય જણાવ્યો. તેમની વાત માનીને માતા લક્ષ્મી શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાજા બલિના ઘરે પહોંચ્યા અને મદદ માટે વિનંતી કરી. સૌપ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને પછી આખી વાત જણાવી. તેમણે બલિને પોતાનો ભાઈ બનાવ્યો અને કહ્યું કે તમે ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી વૈકુંઠ પરત મોકલો.
માતા લક્ષ્મીને વચન આપ્યું હોવાથી રાજા બલિએ ભગવાન વિષ્ણુને તેમના વરદાનથી મુક્ત કરી દીધા. ત્યારે ભગવાન વિષ્ણુએ રાજા બલિને આશીર્વાદ આપતાં કહ્યું- તેઓ ચતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં નિવાસ કરશે. રાજા બલિએ તેમને કહ્યું કે, તમે બંને મારા સંબંધી બની ગયા છો, જેથી તમે બંને થોડાં દિવસ પાતાળ લોકમાં રહો જેથી મને તમારી સેવાનો અવસર મળે. જેથી રક્ષાબંધનથી લઈને ધનતેરસ સુધી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રહ્યા અને ત્યાર બાદ વૈકુંઠ પરત ફર્યા.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)